બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ
12 views
Content
3 of 5
‘ગુણાતીત ઉપર મારો દેહ કુરબાન છે’
Original
1 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગુણાતીતાનંદ સ્વામી થકી સર્વોપરી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રાગજી ભગત તત્પર થયા હતા. તે માટે ઘરબાર છોડી અખંડ સ્વામીની સેવામાં તેઓ મરણિયા થઈ ગયા. ગમે તે રીતે દેહના ચૂરેચૂરા કરી સ્વામીને રાજી કરી લેવા એવો દૃઢ નિશ્ચય પ્રાગજીએ કર્યો હતો. ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રાગજીની આ દૃઢતાને વારેવારે ચકાસતા.
સંવત ૧૯૧૭ના વર્ષમાં ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરમાં જૂની હવેલી તોડી, નવી હવેલીના બાંધકામનું કાર્ય શરું કર્યું. તેમાં સ્વામીએ પ્રાગજીને જોડ્યા. પાયા ખોદવાની સેવામાં પ્રાગજીની શ્રદ્ધા જોવા સ્વામીએ તેના મંડળમાં માત્ર બે કે ત્રણ જ સાધુ નીમ્યા. જ્યારે અન્યના દસ-દસના મંડળ બનાવ્યા. છતાં આવો પક્ષપાત નજર સામે લાવ્યા વગર પ્રાગજી તો તીવ્ર વેગથી સેવામાં જોડાઈ ગયા. અને સ્વામીની કૃપાથી તેમના મંડળનું પાયા ખોદવાનું કાર્ય સૌપ્રથમ પૂરું થયું.
પાયાનું કામ પૂરું થયા પછી તેમાં રેતી ધોઈને નાખવાની હતી. આમાં તો લૂગડાં પલળે ને બગડે. એટલે દરેક જણ એક અથવા બીજી યુક્તિ કરી ખસી ગયું. પછી સ્વામીએ પ્રાગજીને આજ્ઞા કરી. પ્રાગજી સવારથી કામ શરૂ કરે. પહેલાં તો મોટા તપેલામાં પાણી ભરી, અંદર દસ-પંદર ટોપલા રેતી નાખે. પછી હાથે ગાળીને ટોપલા ભરે અને માથે ઉપાડી, દોટ મૂકી પાયામાં નાખી આવે. તેમાં બધાં લૂગડાં પલળી ગયાં તો પણ ટોપલો લઈને દોટ મૂકે અને ઘડીભર પણ વિસામો ખાય નહિ. આવી રીતે સવારથી સાંજ સુધી સ્વામીની મરજી પ્રમાણે અવિરતપણે સેવા કરી. ત્યારે સ્વામી રાજી થઈ બોલ્યા, “આને સાધુને રાજી કરતાં આવડશે ખરું.”
એવી જ કપરી સેવા હતી – ચૂનો કાલવવાની. તેમાં હાથ-પગ ફાટી જાય અને વળી ચૂનાની ગરમીથી આંધળા પણ થવાય, એવી બીકથી તે સેવા કરવા કોઈ તૈયાર થયું નહીં. સ્વામીની આજ્ઞાથી પ્રાગજીએ દેહના જોખમવાળી આ સેવા પણ પોતાને માથે ઉપાડી લીધી. મંદિરની સામેના વંડામાંથી બાર-બાર મણ ચૂનાના કોથળા, ચાર-પાંચ જણા તેમના ઉપર ચડાવે, કોઈ કોઈ વખત તો જોરથી ફેંકે પણ ખરા! પરંતુ પોતે તો સ્વામીની મૂર્તિ ધારી, સ્વામી જ પોતાની કસોટી અનેક દ્વારે, અનેક પ્રકારે કરી રહ્યા છે એમ સમજતા.
ચૂનાના કોથળા હવાડામાં નાંખી, પાણી નાંખી પલાળી રાખે. પછી જેમ માટી કચરે, તેમ ચૂનાના હવાડામાં પોતે ઊતરી કચરે. તેમને આ પ્રમાણે ચૂનાનું કામ કરતા જોઈ કેટલાક તેમને કહેતા કે, “આ ચૂનાના છેરથી આંધળો થઈશ, હાથ-પગ ફાટી જશે.” ત્યારે પોતે કેફથી બોલતા, “આ ગુણાતીતાનંદ સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે.”
આ પ્રમાણે કેવળ સ્વામીને જ પ્રસન્ન કરવા, બે દિવસ ઉપવાસ અને ત્રીજે દિવસે એક સમય જમવાનું તેવા કઠણ તપ સાથે સાડા ત્રણ વર્ષ સુધી તેમણે હવેલીનું કામ અવિરતપણે કર્યા જ કર્યું.
સ્વામીના મુખમાંથી સરેલું એક-એક વચન ભગતજી અદ્ધર ઝીલી લેતા, તેને હેઠું પડવા દેતા નહીં. એકવાર સ્વામીએ પ્રાગજીને આજ્ઞા કરી, “પ્રાગજી! ગિરનારને અહીં બોલાવી લાવ.” ભગતજી તો તરત જ ઉપડ્યા ગિરનારને બોલાવવા! લોકોએ કહ્યું, “પ્રાગજીમાં અક્કલ જ ક્યાં છે? ગુરુ તો કહે પણ વચન પાળવામાં પણ વિવેક જોઈએ.”
પ્રાગજીએ સાધનાની ઉત્તમ રીત બતાવતાં કહ્યું: “ગુરુની તમામ આજ્ઞા અવિચારીપણે શિષ્યએ પાળવી જોઈએ. હું તો ગિરનારને માથું અડાડી કહીશ કે સ્વામી બોલાવે છે. મારે તો આજ્ઞા પળાઈ ગઈ. પછી ગિરનાર ન આવે તો એ વિમુખ કહેવાશે.”
'ગુરુની આજ્ઞામાં બુદ્ધિને તાળું મારી દેવું' આ ઉચ્ચ આધ્યાત્મિક સાધનાનો આદર્શ હતા, ભગતજી મહારાજ. સાચા ગુરુના વચનમાં બુદ્ધિના ડોળ મૂકીને પરમ શ્રદ્ધાથી ઝંપલાવવાનું હોય છે. મહંતસ્વામી મહારાજ કહે છે કે મન લડાવવાથી આજ્ઞા નહીં પળાય, હૃદય લડાવવું પડશે. એટલે કે તર્ક-વિતર્કના ત્રાજવે ગુરુવચનોને તોળ્યા વગર દૃઢ વિશ્વાસથી યાહોમ થઈ જઈએ, એ જ આપણી આધ્યાત્મિક સાધનાની સિદ્ધિનું રહસ્ય છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!