અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
5 of 12
અનાદિના સેવક
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
વરતાલમાં એક વખત શ્રીજીમહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી કેટલાક માંદા સાધુની સેવામાં રોકાયા હતા. દરેકની રુચિ પ્રમાણે જમવાનું કરી આપે, ટેલ-ચાકરી કરે અને સહુની ગોદડીઓ પણ ધોઈ નાખે. આ જોઈ કેટલાક સાજા-સારા સાધુઓએ પણ પોતાની ગોદડીઓ, માંદા સાધુઓની ગોદડીઓ ભેગી ધોવા આપી દીધી. લગભગ અઢાર જેટલી ગોદડીઓ ભેગી થઈ હતી, પણ સ્વામી કોઈ ફરિયાદ કે અણગમા વગર પ્રેમથી સૌની સેવા કરતા. ગોમતી તળાવમાં ગોદડીઓ ધોઈ, બંને ખભા ઉપર ઊંચકી સ્વામીશ્રી મંદિરે આવતા હતા. પરિશ્રમથી શરીરે પરસેવો વળી ગયો હતો. સાથે ભીની ગોદડીઓનું પાણી શરીરના અંગો પર રેલાતું હતું.
બરાબર તે જ વખતે મહારાજ વાસણ સુથારને ઘે૨ જમીને મંદિરના હનુમાનવાળા દરવાજે આવ્યા. સ્વામીશ્રી તો મહારાજની મૂર્તિમાં વૃત્તિ પરોવી, અનિમિષ દૃષ્ટિએ દર્શન કરતાં ઊભા રહી ગયા. મહારાજ પણ સ્વામીની પ્રેમદોરીએ બંધાયેલા ત્યાં જ ઊભા રહ્યા. ભક્ત અને ભગવાનનું અલૌકિક દૃષ્ટિમિલન ચાલ્યું. થોડી વાર થઈ એટલે મહારાજે રજા માંગતાં પૂછ્યું: સાધુરામ! હવે ચાલશું?’ એટલે સ્વામીએ દૃષ્ટિ ખેંચી લીધી. પછી મહારાજ સભામાં પધાર્યા. અહીં વિશિષ્ટ ચરિત્ર કરતાં મહારાજ શરીરે એકદમ અકળામણ બતાવવા લાગ્યા. એટલે સેવકો પંખો નાખવા લાગ્યા, તો કોઈ ઠંડું પાણી લઈ આવ્યું. ત્યારે મહારાજ કહે: ‘મારે કાંઈ જોઈતું નથી, પણ પેલા સાધુએ મારે માથે ભાર મૂક્યો છે તે લઈ લો.’ મહારાજનો કહેવાનો ભાવ હતો કે ‘ગુણાતીતાનંદ સ્વામીના ખભે જે ગોદડીઓ છે તેનો ભાર મને લાગે છે.’ આ સાંભળી ભગુજી દોડ્યા અને સ્વામી પાસે જઈ એમના ખભા ઉપરથી ગોદડીઓ લઈ લીધી. તે મહારાજ પાસે લાવીને મૂકી. મહારાજે જેમની ગોદડીઓ હતી તેમને બોલાવ્યા. માંદા સાધુઓ તો પોતાની ગોદડીઓ લઈ ગયા, પણ જે સાજા હતા તે શરમાઈને આવી શક્યા નહીં. મહારાજે તત્કાળ સભા બોલાવી. મહારાજ જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી તો મારા અનાદિના સેવક છે. સંતો-ભક્તોની સેવામાં તે તો ક્યારેય પાછી પાની કરશે નહીં, પણ સૌને ખ્યાલ હોવો જરૂરી છે કે આ કોઈ સામાન્ય સાધુ નથી કે તેમની પાસે આપણે આવી ટેલ-ચાકરી કરાવીએ.
તેથી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓને બોલાવીને પૂછ્યું: ‘આ ગુણાતીતાનંદ સ્વામી કેવા સાધુ છે?’ ‘એ તો બહુ સારા સાધુ છે. કીર્તનો બહુ મોઢે છે ને વાતો પણ કરે છે. સેવા પણ ખૂબ કરે છે ને તપસ્વી પણ ભારે છે.’ સદ્ગુરુઓ બોલ્યા. ‘એ તો તમે ઉપલ્યા ગુણ કહ્યા, પણ એ તો બહુ સમર્થ સાધુ છે, કાં જે, જેમ સાણસામાં સાપ પકડે તેમ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં એમણે ઝાલી રાખી છે.’ મહારાજે કહ્યું.
તે સાંભળી હિન્દુસ્તાની (ઉત્તર ભારતથી આવેલા હિન્દીભાષી) મહાનુભાવાનંદ સ્વામી કહે: ‘મહારાજકુ ક્યું પકડા હૈ? છોડ દો.’ ત્યારે મહારાજે એમને સમજાવ્યું: ‘એણે તો અમને અખંડ પકડી રાખ્યા છે, પરંતુ અમને તેનું દુઃખ થતું નથી, પણ એમની જેમ બીજાને અમારી મૂર્તિ પકડવી કઠણ છે. આ સાધુ તો અમારા અનાદિના સેવક છે. આ સાધુ દ્વારા જ અમારી સર્વોપરી ઉપાસના આખા સત્સંગમાં પ્રવર્તશે. આ સાધુ જેવો અમારો અદ્ભુત મહિમા જાણે છે તેવો બીજા જાણતા નથી. માટે આવા સાધુ પાસે સાજા સાધુ સેવા કરાવે, તે કેવું કહેવાય?’ આ પ્રમાણે મહારાજે સૌ સદ્ગુરુઓને સ્વામીનો મહિમા સમજાવ્યો.
સ્વામીના શરીરે રહેલી ગોદડીઓનો ભાર શ્રીજીમહારાજને અનુભવાય, અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે કેવું એકાત્મ્ય છે!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!