અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
11 of 12
ગુણાતીત સંગે ગુણાતીત
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
કામરોળના દરબાર દાજીભાઈ સરકારી કામ પ્રસંગે જૂનાગઢ આવ્યા હતા. તેમણે સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો રાખ્યો. મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે મંદિરમાં જે કોઈ આવે તેની ઉતારા-પાગરણ-જમવાનું વગેરેથી સંભાવના કરતા. જે એક વાર ગુણાતીતાનંદ સ્વામીની મહેમાનગતિનો લાભ લે તે તેઓને ભૂલી શકતા નહીં.
સ્વામીએ દાજીભાઈને હોકામેડીમાં ઉતારો આપ્યો. દરબારો તથા ગરાસિયાઓ કે જેઓને સત્સંગ ન હોય અને હોકા, બીડી, અફીણ વગેરેની લત હોય તેમને માટે સ્વામીએ મંદિરમાં અલગ ઉતારો બાનાવ્યો હતો, જેનું નામ હોકામેડી રાખ્યું હતું. વ્યસનીઓને સ્વામી ત્યાં ઉતારા આપતા જેથી તેમને વ્યસન કરવામાં સંકોચ ન થાય. વળી, સત્સંગીઓને પણ તેઓના વ્યસનથી ત્રાસ ન ઉપજે. ગુણાતીતાનંદ સ્વામીનો ઇરાદો વ્યસનને પ્રોત્સાહન આપવાનો નહોતો, પરંતુ તેઓ સમજતા કે આવા લોકોને સીધો ઉપદેશ આપવા કરતાં તે મંદિરમાં આવી સત્સંગીઓનાં વર્તન જોશે તો તેમની કુટેવો આપોઆપ છૂટી જશે. દાજીભાઈ પણ આ માંહીના એક હતા તેથી તેમને હોકામેડીમાં ઉતારો આપ્યો.
સવારની સભામાં સ્વામીએ દાજીભાઈને પૂછ્યું, “દરબાર! ગુરુ કર્યા છે?”
દરબારે કહ્યું, “હું ગુરુ જ ગોતું છું. હજુ સુધી ગુરુ મળ્યા નથી. કાં જે જેને ગુરુ કરવા જાઉં છું તે દારૂના બે શીશા અને બે બકરા માંગે છે. એટલે મને વિચાર થાય છે કે એવું તો હું પણ કરું છું. એટલે એવા ગુરુ મારું શું ભલું કરે?”
દરબારની આ વાત સાંભળી સ્વામી હસ્યા અને કહ્યું: “દરબાર! આ ગુરુ તેવું માંગે એવા નથી.” એમ કહીને સ્વામીએ કહ્યું: “દારૂ, માટી, ચોરી, વ્યભિચારનો ત્યાગ ને વટલવું-વટલાવવું નહીં, એ પાંચ નિયમો પળાવી સ્વામિનારાયણનું ભજન અમે કરાવીએ છીએ.”
ગુણાતીતાનંદ સ્વામીની આ વાત સાંભળીને અને તેમનાં દર્શન કરીને દરબારનું હૈયું ટાઢું થઈ ગયું. તેમના સંકલ્પો બધા બંધ થઈ ગયા. તેમનું અંતર સ્વામીશ્રી પ્રત્યે ખેંચાયું. તેથી તેમણે હાથ જોડીને કહ્યું: “સ્વામી! આજથી આપના વચને હું દારૂ નહીં પીવું તેમજ માંસ પણ નહીં ખાઉં. ચોરી તો હું કરતો નથી. તેમજ વટલવું-વટલાવવું હું હવે કરીશ નહીં.” સ્વામીને મહાપુરુષ જાણી નિષ્કપટ થતાં દરબાર આગળ બોલ્યા, “પણ સ્વામી, મેં યુવાવસ્થામાં ત્રાંબાની ભસ્મ ખાધી છે ને ચકલાંની જીભો કપાવીને ખાધી છે, તેથી નિષ્કામ ધર્મ મારાથી પળે તેમ નથી.”
દરબારે નિષ્કપટપણે પોતાની હકીકત કહી દીધી, તેથી સ્વામી તેમના ઉપર રાજી થયા. પછી કહ્યું: “આ ચાર નિયમો તમે પાળજો. પાંચમું નિષ્કામ ધર્મ અમે તમને પળાવીશું.” એમ કહીને સ્વામીએ દરબારને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા અને સ્વામિનારાયણની પાંચ માળા પોતા તરફ દૃષ્ટિ રાખીને ફેરવવાની આજ્ઞા કરી. એટલે દરબારે સ્વામીશ્રી તરફ દૃષ્ટિ રાખી પાંચ માળા ફેરવી કે તરત જ સ્વામીએ તેમનાં નેત્રમાંથી કામ ખેંચી લીધો. સ્વામીની આ અસાધારણ કૃપાથી કામાદિક દોષના તેમના તમામ સંકલ્પો શમી ગયા! અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ! રોજ પાંચ શેર દૂધ કઢીને તેમાં શેર સાકર નાખીને પીતા ને બશેર લોટની પૂરી જમી જતા એવા બળવાન હતા, છતાં તેમને કામનો સંકલ્પ ઊઠતો નહીં. ગુણાતીતાનંદ સ્વામી થકી દરબાર નિર્દોષ થઈ ગયા.
આવા તો કંઈક ખારા જીવોને મીઠા કરી દેનાર વડવાનળ સમાન સત્પુરુષ હતા ગુણાતીતાનંદ સ્વામી. પાપના પર્વત સમા લીલાખાનો મુંજો સૂરુ હોય કે બહારવટે ચડી લોકોને રંજાડતો બાબરિયાવાડનો વાલેરો વરુ – ગુણાતીતના પ્રસંગમાં આવનાર હરકોઈ જીવમાંથી શિવ બની ગયા છે.
શ્રીજીમહારાજે સર્વ આશ્રિતોને આજ્ઞા કરી હતી, “વર્ષોવર્ષ એક માસ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જે જૂનાગઢ જશે તેમની કસરમાત્ર ટળી જશે.” ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં બ્રહ્મરૂપ થવાનો અખાડો ચલાવ્યો હતો, જેમાંથી ઘણા બ્રહ્મરૂપ પાક્યા હતા. આવા બ્રાહ્મીસ્થિતિના ઘડવૈયા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા આજે પણ મહંતસ્વામી મહારાજ રૂપે ચાલુ છે...
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!