ભગવાન સ્વામિનારાયણ
105 views
Content
7 of 14
આજની ઘડી રે ધન્ય..
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
પ્રખર કવિવર લાડુદાન ગઢવી ૪ ભાષાઓ, વ્યાકરણ અને પિંગળશાસ્ત્રમાં પ્રવીણ હતા. તેઓને અશ્વવિદ્યા, ગજવિદ્યા, સામુદ્રિક શાસ્ત્રોનું જ્ઞાન જેવી ૨૪ કળાઓ સિદ્ધહસ્ત હતી. વિલક્ષણ બુદ્ધિપ્રતિભા, તીવ્ર યાદશક્તિ અને શીઘ્રકવિત્વને જન્મજાત વરેલા આ કવિરાજને અનેક રાજારજવાડાઓ તરફથી સુવર્ણચંદ્રકો, રાજકવિરત્ન, પિંગળવિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાશીઘ્રકવીશ્વર, શતાવધાની વગેરે પ્રમાણપત્રો એનાયત થયાં હતાં.
એક વાર ભાવનગર પધારેલા લાડુદાનજીને મહારાજા વજેસિંહ બાપુએ સુવર્ણથી આભૂષિત કરવા રાજ્યસોનીને બોલાવ્યા. સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો હતો. કવિએ તે અંગે પૂછપરછ કરી. ત્યારે વજેસિંહ બાપુએ જ વચ્ચે કહ્યું: ‘લાડુદાન! મારા મનની આ ભાંજગડ તમારે દૂર કરવાની છે. મારા રાજ્યમાં ગઢડું ગામ છે. ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. કાઠીઓ તેમને ભગવાન માને છે. મને તો ધતિંગ લાગે છે, પણ તમે જઈને એનું પારખું કરો.’ લાડુદાન તો ભગવાનની કસોટી કરવા તૈયાર થઈ ગયા. પરંતુ તેમને ચેતવતાં સોની મહાજને કહ્યું: ‘કવિરાજ! મીઠાની પૂતળી દરિયાનો તાગ કાઢવા જાય તો દરિયામાં જ સમાઈ જાય. માટે સમજી વિચારી પગલાં ભરજો.’
યૌવન, વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ ગઢડાની વાટ તો પકડી, પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું. ‘સાચું પણ હોય’ એવી શંકા થઈ. આ વિચાર આવતાં લાડુદાને મનમાં ચાર સંકલ્પો કર્યા કે “જો સ્વામિનારાયણ સાચે જ ભગવાન હોય તો, ‘એમણે ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે.’ ‘બંને ચરણારવિંદમાં સોળ દિવ્ય ચિહ્નો દેખાડે.’ ‘મારી ઓળખાણ આપે.’ અને ‘કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય.” આ ચાર સંકલ્પો સાથે તેઓ ગઢડાની સીમમાં પ્રવેશ્યા.
ગામમાં આવતાં જ કવિને દિવ્ય શાંતિનો અનુભવ થયો. સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં લીંબડાના વૃક્ષ નીચે સંતો-હરિભક્તોની સભા ભરીને બેઠા હતા. કોટમાં ગુલાબનો હાર શોભતો હતો. સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો. લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા. ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા. વાતવાતમાં એમનું પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. તે દરમ્યાન શ્રીહરિના ખુલ્લાં ચરણારવિંદમાં લાડુદાને દિવ્ય સોળ ચિહ્નોનાં દર્શન કર્યાં. તેઓના આનંદની સીમા ન રહી. હૈયું ગદ્ગદ થઈ ગયું. અંતર ભેદાઈ ગયું કે નક્કી આ ભગવાન જ છે. તેઓના કંઠમાંથી કવિત સરી પડ્યું:
‘ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી,
નેણે નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી.’
કવિના હૃદયદ્વાર ખૂલી ગયાં. પ્રભુની દૃષ્ટિમાં દૃષ્ટિ મળી. સમાધિ થઈ ગઈ. અનંત કોટિ સૂર્ય-ચંદ્રના તેજથી અધિક, મહાતેજોમય અક્ષરધામની મધ્યે મહારાજ બિરાજમાન છે. અનંત મુક્તો શ્રીહરિની આ મનોહર મૂર્તિનું અખંડ સુખ લઈ રહ્યા છે. આ અલૌકિક દર્શન કવિરાજની આંખોમાં જડાઈ ગયું. પ્રભુના ચરણો પકડી લીધાં. જીવનભર આ ચરણોની ભક્તિ માંગી. રાજકવિ મટીને લાડુદાન શ્રીહરિના પરમહંસ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. ખરેખર મીઠાની પૂતળી દરિયામાં ઓગળી ગઈ!
બ્રહ્માનંદ સ્વામી જેવા તો અનેક પરમહંસોને ભગવાન સ્વામિનારાયણે વશ વર્તાવ્યા હતા. ચાર વેદના પ્રકાંડ વિદ્વાન નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થમાં અજેય હતા. બ્રહ્માંડમાં ગ્રહોની ગતિને અટકાવી દે તેવા ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગસિદ્ધ સમર્થ મહાપુરુષ હતા. સંતદાસજી સમાધિનિષ્ઠ હતા તો સ્વરૂપાનંદ સ્વામી અખંડ આત્માને દેખતા હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડીને સહજમાં જીવતી કરી શકે તેવા સમર્થ હતા. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ-વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ હતા તો મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ હતા. ગુણાતીતાનંદ સ્વામી તો સાક્ષાત્ અક્ષરબ્રહ્મ હતા કે જેઓના રૂંવાડે રૂંવાડે અનંતકોટિ બ્રહ્માંડો અણુની જેમ રહ્યા હતા. આવા ઐશ્વર્ય, કળા અને સાધુતાથી સંપન્ન ત્રણ હજારથી વધુ પરમહંસોને નિયમ-ધર્મમાં વશ વર્તાવનાર ભગવાન સ્વામિનારાયણ પોતે કેવા સમર્થ હશે!
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!