ભક્તરત્નો
42 views
Content
16 of 17
આફ્રિકા સત્સંગના જ્યોતિર્ધર - મગનભાઈ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
અંધારખંડ તરીકે ઓળખાતા પૂર્વ આફ્રિકમાં અક્ષર-પુરુષોત્તમના અજવાળાં ફેલાવનાર ભક્તરાજ હતા મગનભાઇ પટેલ. ૩૧-૩૨ વર્ષની ઉંમર સુધીનું તેઓનું જીવન ખાવું-પીવું અને મોજશોખમાં વીત્યું હતું. પોતે કિબ્વેઝી સ્ટેશન પર રેલવે-માસ્તરની નોકરી કરતા. તુમાખીવાળો સ્વભાવ અને શિસ્તપાલનમાં જરાય બાંધછોડ ન ચલાવી લેવાની તેઓની પ્રકૃતિ. પરંતુ પૂર્વના સંસ્કાર અને ભગવાનની કૃપાથી તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાં જ શાસ્ત્રીજી મહારાજના હરિભક્ત હરમાનભાઈ પટેલની બદલી થઈ. હરમાનભાઈના યોગે મગનભાઈને સત્સંગનો રંગ લાગ્યો. તેમાં પણ એક વખત તેઓ રજા ઉપર ભારત આવ્યા અને બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા. પ્રથમ દર્શને જ તેઓને એવી દિવ્ય અનુભૂતિ થઈ કે તેઓએ શાસ્ત્રીજી મહારાજને ગુરુ કરી લીધા. સ્વામીશ્રીના ચરણોમાં પડી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને આશીર્વાદ આપી કહ્યું કે, ‘તમારા પૂર્વેના બધા જ ગુના માફ છે. હવે સત્સંગ કરજો અને કરાવજો.’
ત્યારપછી તેઓએ સત્સંગ પ્રવર્તનનો જાણે મહાયજ્ઞ ચલાવ્યો. પોતાના યોગમાં નાના-મોટા જે આવે તેને સત્સંગની, ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજના મહિમાની વાતો કરતા તેઓ થાકતા જ નહીં. પોતે સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરતા તેથી કોઈને વેગન છોડાવવું હોય તો મગનભાઈની મંજૂરી જોઈએ. મગનભાઈ કહેતા કે તમે થોડી વાર મારી કથાવાર્તા સાંભળો તો હું તમને મંજૂરી આપું. આમ, પરિચિત-અપરિચિત સૌ કોઈને સત્સંગની વાતો કરવાનો તેઓને જબરો વેગ લાગી ગયો હતો. સ્ટેશન પર ટ્રેનના બે-ત્રણ સમયના આવાગમન સિવાય બીજું કામ ન હોય તો તેઓ બીજા રેલવે સ્ટેશનો ઉપર નોકરી કરતાં ભક્તો સાથે કલાકો સુધી તાર દ્વારા સત્સંગની વાતો કરતા. એટલું જ નહીં, નિર્ગુણદાસ સ્વામીના સમાગમ અને વાંચનથી તેઓએ વચનામૃત ગ્રંથમાં પણ ખૂબ ઊંડાણ પ્રાપ્ત કર્યું હતું. રાતોની રાત તેઓ વચનામૃત ઉપર કથાવાર્તાનો બ્રહ્માનંદ રેલાવતા. સંધ્યા આરતીથી કથાનું મંગળ થાય અને સવારે સૌ દાતણ લઈને ઊભા થાય ત્યાં સુધી તેઓ કથવાર્તા કરતા! સત્સંગ પ્રવર્તન માટે તો તેઓએ સાંજના વાળુનો પણ ત્યાગ કરી દીધો હતો. ટરોરો, મ્બાલે, જીંજા, કંપાલા, મસાકા, બ્લીક્વે, બ્રુડોપા, બ્રુકેડીયા, નાઈગોન્ગેરો, નૈરોબી, મોમ્બાસામાં તેઓ ઘૂમી વળ્યા અને કથાવાર્તાના અખાડા જમાવી સેંકડો જીવોમાં અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા ધરબી દીધી.
શાસ્ત્રીજી મહારાજના ગુણગાન ગાતા મગનભાઈ ગળગળા થઈ જતા અને કહેતા, ‘શાસ્ત્રીજી મહારાજને સેવ્યે શ્રીજીમહારાજ સેવાઈ રહ્યા. જેને મરીને પામવા હતા તે દેહ છતા મળ્યાં છે.’ શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહેતા કેટલીકવાર તો એવું બોલતા કે, ‘હું શું વધારે કહું? જીભ ઝાલીને કહું છું નહીંતર જગત મારા ઠાઠા ભાંગી નાંખે. (ખૂબ માર મારે)’ તેઓને ભક્તોનો એવો મહિમા હતો કે હરિભક્તોની ચરણરજમાં આળોટે, અને પ્રાપ્તિનો એવો કેફ કે રાત્રે પથારીમાં ઊછળે કે, ‘મને શાસ્ત્રીજી મહારાજ મળી ગયા!’ તેઓએ શાસ્ત્રીજી મહારાજને વચન આપેલું કે, ‘ગઢપુરનું મંદિર આફ્રિકાનું મંડળ પૂરું કરશે.’ તે વચન સિદ્ધ કરવા તેઓ હરિભક્તોને કહેતા કે, ‘શાસ્ત્રીજી મહારાજ કહે ત્યારે એમના વચને વેચાઈ જવું પડે તોય શું? જ્યારે ગાય, બળદ, ભેંસ, બકરાના અવતાર થયા હોઈશું, ત્યારે ઘણી વાર વેચાયા હોઈશું. તો આ મનુષ્ય દેહે શાસ્ત્રીજી મહારાજનું વચન ‘ગઢપુર મંદિર પૂર્ણ કરો' તે પાળતાં વેચાવું પડે તો પણ શું? ગુરુહરિના વચન પર મરી મિટવાનું છે.’ તેઓના શબ્દોમાં સત્પુરુષ કાજે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાનો કેવો ઉમંગ છલકાય છે!
એક ગૃહસ્થ હોવા છતાં તેઓ એક સંત જેવું જીવન જીવી ગયા! બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે, ‘હું મગનભાઈ દ્વારા આફ્રિકામાં કાર્ય કરી રહ્યો છું માટે તેમનો સમાગમ કરવો.’ માત્ર ૫૧ વર્ષની જિંદગીમાં મગનભાઇએ અનેક જિંદગીઓનું સાટું વાળી દીધું. મહિમાના મહાસાગરમાં મહાલતા મગનભાઈ ઉપાસના પ્રવર્તનની અપાર સેવા કરી શાસ્ત્રીજી મહારાજની માળાના મણકા બની ગયા.
મગનભાઈની જેમ આપણે પણ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનની સેવામાં જિંદગી ખપાવી પ્રગટ ગુરુહરિની માળાના મણકા બની જઈએ તેમાં જ જીવનની સાર્થકતા છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!